
લોકવેદનાને વાચા આપશે કોણ? ન્યાયાલય સિવાય લોકોનું કોઈ સાંભળતા નથી
સતત પ્રચાર પ્રસારમાં રહેતી સરકારશ્રી પ્રત્યે લોકોને અનેરો આદરભાવ છે અને લોકો વખતો વખત એની સમીક્ષા પણ કરતા હોય છે, જેનાં ફળ સ્વરૂપ જ ૨૦૨૨ માં યોજાયેલી વિધાનસભામાં ૧૫૬ સીટો આપીને લોકોએ સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વાત કરીએ શું કરવા માંડ્યાની તો, રેવન્યુ, મહેસુલ, સીટી સર્વેના ઢીલા ઢપ્પ વર્કઆઉટની ઉપરાંત લોકોમાં મોંઘવારી અને બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે ઘટવાને બદલે વધી રહ્યું છે ત્યારે પ્રચાર પ્રસારથી લોક દરબાર, લોક અદાલત, સ્ટાર્ટપ, મુદ્રા નાણાકીય સહાયના રૂપકડા આંકડાઓની વચ્ચે અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાક ધોવાયા તેના વળતરનું શું? પેપરો ફૂટવાથી પરીક્ષાઓ પાછી ઠેલાય છે જેનાં કારણે નવયુવાનોનો એક મોટો વર્ગ નોકરીઓથી વંચિત રહી જાય છે એનું શું? રોજગારીના અભાવ વચ્ચે લોકો માંડ માંડ કે જેમતેમ ઘર પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમાં રાહત માટે રોજગારની ઠોસ નીતિઓ કે હારમાળા સર્જાતી નથી તેનું શું? જેવા જવાબો આ પ્રચાર પ્રસાર તળે દબાઈ જઈ રહ્યા છે.
મીડીયાતંત્રના માધ્યમો અખબાર, ન્યુઝચેનલો, વેબચેનલો, ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મો લોકોની હાલાકીના પ્રશ્નો ઉઠાવવાનું જાણે કે વીસરી ગયા હોય તેમ એકલદોકલ સમાચાર માધ્યમો સિવાય કોઈ આવા પ્રશ્નો ઉઠાવતું પણ નથી, અને સરકારો પણ હવે મીડીયામાં પ્રસિદ્ધ થતાં સમાચારોની નોંધ લેતી ન હોય તેમ પોતપોતાના ફેસબુક પેઈજ પર પોતાની કામગીરી દર્શાવીને પોતાની પીઠ જાતેજ થાબડી લે છે.
અધૂરામાં પૂરું વ્યાજખોરોના ત્રાસથી આમ આદમીનું જીવવું દુષ્કર બની રહ્યું છે તેવા તત્વોને ઝબ્બે કરીને લોકોને રાહત આપવાના વચલા રસ્તા મુજબ સરકારશ્રીએ આખા પોલીસ ડિપાર્ટમેન્ટને તેના સ્વાભાવ અને કાર્યક્ષેત્રથી વિરુદ્ધ લોન માર્ગદર્શન શિબિરો યોજવાના કામે લગાડી દીધું, પોલીસ વિભાગ પણ એ કામે રૂપકડા આંકડાઓ આપીને સરકારને ખુશ કરવામાં લાગી ગઈ છે, ત્યારે પોલીસ વિભાગમાં આમ પણ અરજીઓના નિકાલ બાબતે વધુ મહેકમ ઉમેરવાની જરૂરિયાત સામે હાલ અર્ધું મહેકમ સરકારી કાર્યક્રમો અને પ્રોગ્રામોના પહેરામાં વ્યસ્ત છે તો બાકી રહેતું મહેકમ લોન માર્ગદર્શન શિબિરો યોજવામાં વ્યસ્ત છે ત્યારે કેટલાં વ્યાજખોરો ઝબ્બે કર્યા? આવા તત્વો પાસેથી પ્રજાના કેટલાં પૈસા પ્રજાને પાછા અપાવ્યા? જેવા પ્રશ્નો પ્રચાર પ્રસારમાં ગરકાવ થઈ રહ્યા છે!!
લોકો પોતાના પ્રશ્નોમાં એટલાં ગુંચવાઈ ગયા છે કે સરકારને પ્રશ્ન કરવાની ફુરસદ મળતી નથી જેનો લાભ ખુંધા રાજનેતાઓ, અફસરોની ચાપલુસી કરતા વચેટિયાઓ ભરપૂર રીતે ઉઠાવી રહ્યા છે, બદૌલત ગેરકાયદે ખનન, સરકારી અનાજનો પગપેસારો, લોકોની અરજીઓને કોરાણે કરવાના પ્રશ્નો સતત ઉદભવી રહ્યા છે. આ બધા પ્રશ્નોને એક કરીને સવાલ એ ઉઠે છે કે જનતાનું સાંભળે છે કોણ? લોકોએ પણ લોકતંત્રમાં સવાલો ઉઠાવવાની નીતિ રીતી વહેલામોડી અખત્યાર કરવી જ પડશે અન્યથા આમ જનતા માટે દિવસો સારા નથી એટલું ચોક્કસ માની શકાય.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button