NCP સ્થાનીક સ્વરાજ્યની અને પેટાચૂંટણી લડશે કે નહીં, રેશમા પટેલે આપ્યું નિવેદન

રેશમા પટેલ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મોકૂફ રહેવા બાબતે મુખ્ય કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે, ગુજરાતની પ્રજાના હિત ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલવવામાં આવી. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું દોગલું વલણ સામે આવ્યું છે. ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે, પોતાના સ્વાર્થ માટે ધારાસભ્યોને તોડીફોડીને પેટાચૂંટણીનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. આ પેટાચૂંટણીમાં એમને કોરોનાની મહામારી યાદ નથી આવતી, આ પેટાચૂંટણીમાં તેમણે ગુજરાતની પ્રજાની અસ્મિતા, ગુજરાતની પ્રજાની સુરક્ષા યાદ નથી આવતી. એટલે આવું દોગલુ વલણ રાખનારા ભારતીય જનતા પાર્ટી માટે એટલું જ કહેવાનું છે કે, તે દસ માથાવાળા રાવણની ભૂમિકા ગુજરાત માટે ભજવી રહ્યું છે.
અમારી પણ ફરજ છે કે, અમે દરેક ચૂંટણીમાં અમારી ભૂમિકા ભજવીએ. NCP પાર્ટી યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો અને પીડિત લોકો માટે ચૂંટણીમાં સક્રિય જવાબદારી નિભાવશે. દરેક ચૂંટણીમાં ઝંપલાવીશું અને અમારી પાસે પેટાચૂંટણીના દાવેદારો છે. અમે ફોર્મની સમીક્ષા કરી રહ્યા છીએ અમારો હેતુ માત્ર ચૂંટણી લડવાનો નથી. અમે ચૂંટણી લાડીશું અને ગુજરાતની પ્રજા માટે કંઇક કરીએ અમારું સ્પષ્ટ માનવું છે. આ તમામ બાબતો પર સમીક્ષા કર્યા પછી જ અમે લિસ્ટ જાહેર કરીશું કે, NCP કઇ બેઠકો પર ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ખતમ કરી રહી છે અને તોડફોડ કરીને પેટાચૂંટણીઓ નિર્માણ કરે છે. તેથી અમારી ફરજ છે કે, અમે ગઠબંધન ધર્મ પણ નિભાવીને જીતી શકીએ તેવા સમીકરણનું નિર્માણ કરીએ. આ તમામ બાબતો પર સમીક્ષા કરીને અમે અમારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરે છે.
રેશમા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછળ ઠેલાતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ભાજપ જનતામાં રહેલા આક્રોશથી ડરી રહ્યું છે. ત્રણ-ચાર મહિના પછી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે ત્યારે NCP સંપૂર્ણ રીતે એકલા હાથે આખી ચૂંટણી લડશે અને ભારતીય જનતા પાર્ટીને કઇ રીતે પરાસ્ત કરવી અને ગુજરાતની પ્રજામાં કઈ રીતે નવું સમીકરણ ઉભુ કરવુ અને લોકોનું કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં કાર્ય કરીશું. અમે દરેક ઇલેક્શન હોય ત્યારે એ ધ્યાનમાં રાખીએ છીએ કે, ભારતીય જનતા પાર્ટીને કઇ રીતે પછાડી શકીએ. આ સમીકરણથી અમે આગળ વધીશું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે યુવાનોને વધારે મોકો આપીશું અને મજબૂતાઈથી ગુજરાતની અસ્મિતા માટે અને ગુજરાતની સુરક્ષા માટે અને ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતનું કઈ રીતે નિર્માણ કરવું તે બાબતે NCP પાર્ટી કામ કરશે.