
ST બસ સ્ટેશન નજીક યુવાનને જાહેરમાં ગોળી મારી હત્યા
ગીર સોમનાથના વેરાવળમાં બસ સ્ટેશન નજીક આવેલ ચાની લારી પાસે સ્કૂટર પર બેઠેલા યુવાનની જાહેરમાં ફાયરિંગ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે વિસ્તારમાં ફાયરિંગ થયુ તે વેરાવળ શહેરનો ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કહેવાય છે પરંતુ સમી સાંજે નિતેશ કટારીયા નામના યુવાનની જાહેરમાં ગોળી મારી હત્યા કરતા રોડ પર સૂમસાન બન્યો હતો. ઘટનાની જાણ વેરાવળ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર સમી સાંજે સાતેક વાગ્યે આસપાસ વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એસટી રોડ ઉપર કારડીયા બોર્ડિંગની સામે ચાની લારી પાસે મોપેડ સ્કૂટર ઉપર બેસેલા રબારી નિતેશ સરમણભાઇ કટારીયા ઉપર અચાનક જ એક સ્કૂટર ઉપર આવેલા અજાણ્યા શખ્સે સરાજાહેર ફાયરિંગ કર્યું હતું. જેમાં નિતેશ કટારીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં તેનું સારવાર મળે તે પૂર્વે જ મૃત્યુ નીપજતા પરીવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ફાયરિંગની ઘટનાના પગલે જાહેર પોલીસ અને એલ.સી.બી તેમજ ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન હાથ ધર્યા હતા.
પોલીસ તપાસમાં મળતી પ્રાથમિક વિગતો અનુસાર જુના મન દુઃખના કારણે યુવાનની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી ફાયરિંગ કરેલી બંદૂક તેમજ બાઈક એક મોબાઈલ સહિતની વસ્તુઓ હાલ પોલીસે કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ પોલીસ તપાસમાં હજી સુધી સામે આવ્યું નથી ફાયરીંગ કોણે કર્યું અને કયા કારણોસર કર્યું છે. તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ વેરાવળ શહેર પોલીસ તેમજ એસ.ઓ.જી એલસીબી સહિતની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી પકડાયા બાદ જ ફાયરિંગનું સાચું કારણ જાણવા મળશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button