કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં જીવલેણ કોરોના ફરીથી માથું ઊંચકી રહ્યો છે. અનેક દેશોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિતોના આંકડાએ ભારત સરકારની પણ ચિંતા વધારી દીધી છે. વિશ્વમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસોના પગલે ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે હાઈલેવલ બેઠક બોલાવી હતી, જેમાં વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે, હજુ સુધી કોરોના ગયો નથી. માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, કેટલાક દેશોમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજે હેલ્થ એક્સપર્ટ અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જેમાં મેં લોકોને સતર્ક રહેવાના આદેશ આપ્યાં છે. આપણે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. અગાઉ રાજ્યોને જીનોમ સીક્વન્સિંગ પર ભાર મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખવામાં આવ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, કોરોનાના વેરિએન્ટ પર ચાંપતી નજર રાખવા માટે પોઝિટિવ સેમ્પલોના જીનોમ સિક્વન્સિંગ પર પુરતુ ધ્યાન આપવામાં આવે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલન આ રણનીતિથી મહામારીને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી છે. જો કે વિશ્વમાં હજુ કોરોનાનો ખતરો પૂરી રીતે ટળ્યો નથી.
જણાવી દઈએ કે, વિશ્વમાં એક સપ્તાહમાં કોરોનાના નવા 35 લાખ કેસ સામે આવ્યા છે. આ પત્રમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જૂનમાં જારી કરવામાં આવેલ SoPનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નવા વેરિએન્ટના પડકારને લઈને ઝડપી ટેસ્ટિંગ, આઈસોલેશન, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસો માટે જરૂરી સારવાર પર ભાર મૂકવામાં આવ્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button