લોકોએ મતદાન અને નેતાઓનો બહિષ્કાર કર્યો મનપાને પેટમાં દુખ્યું
રાજકોટમાં પચાસ-સો કરોડ વધુ ઓનના ચૂકવીને બ્રિજ,કોમ્યુનિટી હોલ જેવા કામોમાં ઉંડો રસકશ લેતા મનપાના સત્તાધીશો પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહેતા ચૂંટણી ટાણે ઠેરઠેર રસ્તા, ગંદકી, ભરાતા પાણી સહિતના પ્રશ્ને વિરોધ વંટોળ ઉઠી રહ્યો છે. અગાઉ મોટામવા વિસ્તારમાં લોકોએ આવા પ્રશ્ને મતદાન બહિષ્કાર કરતા દેખાવો યોજ્યા બાદ આજે આનંદનગર, ખોડીયાર ચોક વિસ્તારના લોકોએ મતદાન બહિષ્કારના બોર્ડ લગાવી દેતા ભાજપ શાસિત મનપાને ગમ્યુ નહીં અને કોઈ આચારસંહિતાનો ભંગ ન્હોતો છતાં બોર્ડને કબજે કરાતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં આવતા આનંદનગર વિસ્તારના લોકોએ એક વર્ષ પહેલા નવેમ્બર-2021માં મનપાને ૩૫થી વધુ લત્તાવાસીઓની સહી સાથે આવેદનપત્ર આપ્યું હતું અને વરસાદી પાણી ભરાવા સહિતના પ્રશ્નોના નિકાલની માંગણી કરી હતી. પરંતુ, ઈજનેરી તંત્ર આ મૂળભૂત સમસ્યા ઉકેલી નહીં શકતા રોષે ભરાયેલા લોકોએ હવે ચૂંટણીમાં નેતાઓ મત માંગવા અને વચનો આપવા નીકળે તે પહેલા લત્તામાં ‘મતદાનનો બહિષ્કાર, રાજકીય પક્ષોને પ્રચાર, બેનર્સ, પોસ્ટર, સ્ટીકર, લગાડવાની મનાઈ છે’ તેવા બોર્ડ લગાવી દીધા હતા.
પરંતુ, શહેરમાં ઠેરઠેર બોર્ડ પ્રતિ આંખ મિચામણાં કરતા મનપા તંત્રની આ બોર્ડથી આંખ ઉઘડી ગઈ અને કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કે એક પક્ષની ટીકા નહીં કરાતી હોવા છતાં આ બોર્ડ જપ્ત કરવા પોલીસ બંદોબસ્ત સાથે જગ્યારોકાણની ગાડી પહોંચતા લોકોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો છતાં બોર્ડ કબજે કરી લેવાયું છે. મનપા લોકોનો વિરોધ દબાવવાને બદલે વિરોધનું મૂળ એવી સમસ્યા દૂર કરવામાં ધ્યાન આપે તેવી ઠેરઠેર માંગણી થઈ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button