પોરબંદર જિલ્લાકક્ષાના ગ્રામહાટનુ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે નવિનીકરણ સાથે કલેકટર દ્રારા ઉદધાટન કરાયુ

પોરબંદર તા.૩, ચોપાટી ગ્રાઉન્ડ,પોરબંદર ખાતે આવેલ જિલ્લાકક્ષાના ગ્રામહાટને જરૂરી સુવિધાઓ, નવિનીકરણ સાથે શરૂ કરી કલેકટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણીએ ગ્રામહાટનુ ઉદધાટન કરી જુદા જુદા સ્ટોલનુ નિરીક્ષણ કરી સખી મંડળની બહેનોને શુભેચ્છા પાઠવી હતી. એકદમ નજીવા દરે ફાળવાયેલ હાટ ખાતે સ્વસહાયજૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ જેવી કે કોસ્ચ્યુમ જ્વેલરી, અગરબતી, ફરસાણ તથા દોરીવર્ક જેવી વિવિધ વસ્તુઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. જય ભવાની સખીમંડળ સાથે જોડાયેલા ચૈાહાણ અંજના બેન કાણકીયા બંસીબેને કહ્યુ કે, આરસેટી ખાતેથી વિનામૂલ્યે સ્વરોજગારીની તાલીમ લીધા બાદ અમારુ મંડળ જુદી જુદી જાતની સુગંધી અગરબતી બનાવીને તેનુ વેચાણ કરે છે. ગ્રામહાટ ખાતે સરકારે અમને જગ્યા ફાળવી આપતા અમે શહેરીજનોને સરળતાથી અગરબતી વેચીને આત્મનિર્ભર બનીશુ. રાજ્યમાં મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તથા મહિલા સશક્તિકરણ થાય એ માટે સરકાર પ્રયત્નશીલ છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગ્રામીણ મહિલાઓને સ્વસહાયજૂથોના માધ્યમથી સંગઠિત કરી તેઓને વિવિધ કૌશલ્ય તાલીમો દ્વારા સક્ષમ બનાવી આર્થિક પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ગ્રામીણ સ્વસહાયજૂથના બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને અરજી કરી શકે છે, તેમ નિયામક એસ.ડી.ધાનાણીએ જણાવ્યુ હતુ. સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ દરમિયાન કાર્યરત ગ્રામહાટ પરથી સ્વસહાય જુથોના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ખરીદી કરી પ્રોત્સાહન પુરૂ પાડવા જિલ્લા તંત્ર દ્રારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે.