ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજવા જઇ રહેલી ચુંટણીમાં પોતાના ૧૮૨ ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપમાં મહત્વની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સોમવારે સાંજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ રાજધાની દિલ્હી પહોંચી ગયા છે. રાત્રે ગૃહ મંત્રી અમિત શાહ સાથે બે કલાક બેઠક ચાલ્યા બાદ આજે ફરી ત્રણ ટોચના નેતાઓ પક્ષના ઉમેદવારો અંગે, પાર્ટીના પ્રચાર અને રણનીતિ અંગે ચર્ચા કરવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરની ભાજપના સંસદીય બોર્ડની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવે અને રાત્રે ભાજપ પોતાની પ્રથમ યાદી જાહેર કરે એવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે એટલે પક્ષ આ અંગે હવે એક્શન મોડમાં આવી તાકીદે નિર્ણય લે એવી શક્યતા છે.
1 અને 5 ડીસેમ્બરમે યોજાનારી ચૂંટણીના મુરતીયા નક્કી કરવા માટેની કવાયત પુરજોશમાં ચાલી રહી છે. ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તમામ 182 બેઠકોની પેનલ નક્કી કરી દેવાઈ છે. હવે ઉમેદવારોની આખરી યાદી તૈયાર થઈ રહીછે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનુ જૂથ કપાઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડાપ્રધાનના ખાસ વિશ્વાસુ હોવાથી ગુજરાતની ચૂંટણીની સમગ્ર જવાબદારી તેમના માથા પર છે. પાર્લામેન્ટરીમાં તેઓ ત્રણેય દિવસ હાજર હતા.
હાલમાં દીલ્હીમાં મોદી અને અમિત શાહ તૈયાર થયેલી પેનલોના નામો પર ચર્ચા કરી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અન પ્રદેશ પ્રમુખ પાટિલ પણ હાલમાં તેઓને જરૂરી માહિતી આપી રહ્યાં છે. થઈ રહેલી ચર્ચા મુજબ,આનંદીબહેન પટેલના કેટલાક વિશ્વાસુ માણસોને ટિકિટ માટેની ભલામણ થઈ છે. જેમાં જામનગર,સૌરાષ્ટ્રની અમુક બેઠકો, અમદાવાદ અને ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકોનો સમાવેશ થાય છે. પેનલમાં બેને સૂચવેલા કેટલાકના નામો પણ છે. પરંતુ તે પૈકીમાંથી ભાગ્યે જ કોઈને ટિકિટ મળવાની શક્યાતાઓ છે.
આ અગાઉ પણ ગુજરાતમાં આનંદીબહેન અને અમિત શાહ જૂથ સક્રિય હતા. પણ રૂપાણી સરકારની હકાલપટ્ટીને પગલે બન્ને જૂથો શાંત થઈ ગયા હતા.