મોરબી માટે ગત રવિવારનો દિવસ ગોઝારો બની ગયો હતો. જેમાં ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે હોનારત બની ગયાના પાંચ દિવસ પછી ચીફ ઓફિસરને માત્ર સસ્પેન્ડ જ કરાયા હોવાથી આ કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
શહેરી વિકાસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી
મોંરબી દુર્ઘટનાને લઇને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે. રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર મોરબી સ્તબ્ધ થઈ ગયું હતું. મોતની ચિચિયારીઓની સાથે એમ્બ્યુલન્સની સાયરનોએ ચકચાર જગાવી હતી. હોસ્પિટલોમાં લોકોનું દુઃખદ આક્રંદ જોવા મળ્યું હતું. ત્યારે રવિવારે રાત્રે જ પોલીસે 9 જવાબદાર લોકો સામે ગુનો નોંધ્યો હતો.
ચીફ ઓફિસરની બેદરકારી સાબિત થતી હોવાથી સસ્પેન્ડ
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જેથી ચીફ ઓફિસરની સંદિપસિંહ ઝાલા બેદરકારી સાબિત થતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચીફ ઓફિસરે સમગ્ર મામલે હાથ ઉંચા કર્યા હતા
મોરબીના જાણીતા ઝૂલતા પુલની દુર્ઘટના સર્જાઈ છે, જેમાં 135 લોકોના મોત થયાં છે, જેમાં બાળકોનો આંકડો બહુ મોટો છે. ત્યારે થોડા દિવસો પહેલાં જ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર મંજૂરીએ જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. એટલું જ નહીં કેપેસિટી કરતાં વધારે લોકો તેના પર જતાં દુર્ઘટના ઘટી હતી.
ચીફ ઓફિસરે ગોળ ગોળ વાતો કરી હતી
સંદીપસિંહ ઝાલાએ થોડા દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાનો ઝૂલતો પૂલ જે અતિ જર્જરિત હાલતમાં હતો. તે સમયે ત્યારે લોકોને વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે તે અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પૂલને ફરીથી તેને સ્થાપિત કરવા માટે મેન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવેલી હતી. જે અનુસંઘાન કલેક્ટરની પણ મિટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કીને કરી આ એગ્રિમેન્ટ કરીને તેને સુપ્રત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જે આધારે 7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રિમેન્ટ કરી એમને 15 વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ અને તેના તમામ આનુસંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવેલ હતો. એમની રિનોવેશનની પ્રક્રિયા શરૂ કરી હતી અને જુદાજુદા મીડિયા અહેવાલો એમણે પ્રસિદ્ધ કરેલા હતા, એનાથી અમને જાણકારી હતી કે રિનોવેશનની પ્રક્રિયા ચાલુ છે. આપના મીડિયા માધ્યમથી પણ ચાલુ છે તે ખ્યાલ હતી. તેમના દ્વારા કોઈપણ ઓફિશિયલ જાણ કર્યા વગર કયા પ્રકારનું રિનોવેશન, કયા પ્રકારનું મટિરિયલ વાપરેલું છે. વચ્ચે એક સમાચાર એવા હતા કે એમના દ્વારા સારામાં સારા ગ્રેડનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. પરંતુ આ કેવી રીતે તૂટી ગયું? તેની કેપેસિટી શું હતી? તેનો ફિટનેસના સર્ટિફિકેટ એમણે લીધેલા છે કે નહીં? એ અમારી જાણકારીમાં હાલમાં નથી. આજે સાંજે અમને જાણવા મળ્યું કે સાંજના સમયે અચાનક એના પર માણસો છે, એનું સમગ્ર મેન્ટેનન્સ, એના પર જવા આવતા માણસોનું અને કેટલાને જવા દેવા ? એની શું કેપેસિટી છે? એ કેપેસિટીથી વધારે માણસો એમના દ્વારા ઓફિશિયલી મોકલવામાં આવ્યા અને આ ઘટના બનેલી છે. એનું રેસ્ક્યૂ અમે કરી રહ્યા છીએ.