અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું છે.ઇલાબહેનના નાના અમદાવાદના જાણીતાં સર્જન હતાં અને સરકારી હોસ્પિટલ્સમાં લોકોની સેવા કરતા હતાં. આઝાદીની લડાઈમાં સક્રિય રૂપે ભાગ લેવાના ઈરાદાથી તેમણે તેમની નોકરી છોડી દીધી હતી. ઈલાબહેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. આખાયે પરિવારમાં દેશપ્રેમ કૂટી-કૂટીને ભરેલો હતો. આખા પરિવાર પર મહાત્મા ગાંધીનો ઘણો પ્રભાવ હતો. આ પરિવાર ગાંધીજીના દરેક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતો હતો.
બાળપણ, શિક્ષણ અને કારકિર્દી
અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેનના માતા-પિતા સુશિક્ષિત હોવાથી પરિવારમાં જ તેમને શિક્ષણ, સંસ્કારિતા અને જાગૃતિનું વાતાવરણ મળ્યું હતું. સુરતની એમટીબી કોલેજમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ થયા બાદ અમદાવાદમાં તેમણે કાયદાની વિદ્યાશાખામાં અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી. આરંભે એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કર્યા બાદ તેઓ ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા હતા. આ નોકરી જ આખરે તેમના જીવનધ્યેય સુધી દોરી જવામાં નિમિત્ત થઈ હતી.
સેવા સંસ્થા સિદ્ધિ અને પ્રદાન
ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશનના માધ્યમથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ઈલાબહેન ત્યાં સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદાઓ અને તેમને મળતી સુવિધાઓ ઉપરાંત તેમનાં પ્રશ્નોથી વાકેફ થયા. તેમણે વિચાર્યું કે આ બાબત તો ભારતીય મહિલાઓને વધુ તીવ્રતાથી સ્પર્શે છે. આથી તેમણે ભારત પરત ફરીને લેબર એસોસિએશનના માધ્યમથી સેલ્ફ એમ્પ્લોય્ડ વિમેન એસોસિએશન (સેવા)ની સ્થાપના કરી.ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે સેવા સંસ્થાના માધ્યમથી ઈલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે.
‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી
અંગ્રેજી વિષય સાથે બી.એ. તેમજ એલ.એલ.બી. થયેલ ઇલાબેન, મજુર મહાજન સંઘમાં પ્રવૃત્તિ દરમિયાન ગુજરાતની શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓથી પરિચિત થયા અને નિર્માણ થયું એક વ્યવસાયિક મહિલાઓના સંગઠનનું જેનું નામ છે “સેવા”. સમયની સાથે સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તરી અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગીની સંસ્થા “સેવુ” નો જન્મ થયો. સેવામાં અંદાજીત દશ લાખથી પણ વધારે મહિલા સભ્યો છે અને તે દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે.ઇલાબેને ‘વિશ્વ મહિલા બેંક’ , ‘વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન’, ‘આયોજન પંચ’ અને ‘રાજ્ય સભા’માં પણ પોતાની સેવાઓ આપી છે. યેલ, હાર્વર્ડ, નાતાલ અને સયાજીરાવ ગાયકવાડ જેવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યુનીવર્સીટી દ્વારા ઇલાબેનને ડોકટરેટની માનદ ઉપાધી એનાયત કરવામાં આવેલ છે. ઇલાબેનના કેટલાક પુસ્તકો જેવાકે ‘શ્રમ શક્તિ ‘, ‘ગુજરાતની નારી’, ‘દૂસરી આઝાદી-સેવા’ , અને ‘વી આર પુઅર બટ સો મેની’ માં તેમની વૈચારિક પરિપક્વતા અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા નારી સશક્તિકરણ માટેના પ્રયત્નો દ્રષ્ટિગોચર થાય છે.
ઇલાબહેન ભટ્ટને મળેલ એવોર્ડ:-
- 1977માં રોમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
- ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા
- 1984માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો હતો
- 1985માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો
- 1986માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા
- 2011માં ઇન્દિરા ગાંધી શાંતિપુરા થી સન્માનિત કરવામાં આવ્યા હતા
- 2010માં નીવાનો શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા