મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનામાં દિવાળીની છેલ્લી રજા 134 લોકોની જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ મોતને ભેટેલા 134 લોકોમાંથી સૌથી વધુ 10થી 30 વર્ષના તરૂણ અને યુવા વયના લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, આ બનાવમાં બાળકોનું પણ પ્રમાણ વધુ જોવા મળ્યું છે. 1થી 10 વર્ષના 30 બાળકો મચ્છુ નદીમાં હોમાયા હતા. જ્યારે 30થી 65 વર્ષના 34 લોકોએ જિંદગી ગુમાવી છે. જ્યારે એક મૃતકની ઉંમર જાહેર થઈ નથી. માત્ર 3 સેકન્ડમાં જ 132 લોકોએ પોતાની જિંદગી અલવિદા કરી હતી.
ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી
મોરબી માટે ગત અઠવાડિયાનો સન્ડે ‘બ્લેક સન્ડે’ સાબિત થયો હતો. વીકેન્ડને એન્જોય કરવા માટે ખરીદેલી 17 રૂપિયાની ટિકિટ મોતની ટિકિટ સાબિત થઈ હતી. ઓરેવા કંપનીએ પૈસા કમાવાની લાયમાંમાં ઝૂલતા પુલની કેપેસિટીથી અનેક ગણી ટિકિટ વહેંચીને અનેકની જિંદગી છીનવી લીધી. આખરે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, પરંતુ એમાં પણ મોટો વિવાદ છે. પોલીસ ફરિયાદમાં પુલનું મેઈન્ટેનન્સ કરનારી એજન્સી સામે 304, 308 અને 114ની કલમ લગાડી ગુનો નોંધાયો છે, પરંતુ ઓરેવા કંપની કે માલિકનું FIRમાં ક્યાંય નામ લખાયું નથી. બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો નથી.
3 સેકન્ડમાં જ મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો
મોરબી દુર્ઘટનામાં એ ત્રણ સેકન્ડ અને મચ્છુનો પટ મરણચીસોથી ગુંજી ઊઠ્યો હતો. રવિવારની એ સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ અને સેંકડો લોકોને ભરખી ગઈ હતી. કંઈક કડાકા જેવો સામાન્ય અવાજ આવ્યો અને ખિલખિલાટ અને કિલકારીઓ વચ્ચે અચાનક જ ચીસાચીસ થઈ ગઈ હતી. કોઈ કંઈ સમજે એ પહેલાં તો 500થી વધુ લોકોને મોત દેખાયું અને ટપોટપ નદીમાં પડવા લાગ્યા હતા. સીસીટીવીમાં કે રવિવારે સાંજે 6.32 વાગે પૂલ ટૂટ્યો અને 500થી વધુ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.