પોરબંદર ખાતે રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોનો વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર હેઠળ જિલ્લાકક્ષાનો રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોનો વિતરણ કાર્યક્રમ પોરબંદરના બિરલા હોલ ખાતે ધારાસભ્ય બાબુ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 20 લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી તથા 100 યુવાનોને કાર્યક્રમના સ્થળ પરથી નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ ઉપરાંત 1 હજારથી વધુ લાભાર્થીઓને ઓનલાઇન ટપાલ મારફત રોજગારપત્રો, એપ્રેન્ટીસશીપ કરારપત્રો વિતરણ કરાયા હતા.

કાર્યક્રમમાં આ તકે હાજર રહેલા ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતા રોજગારી મેળા તથા પ્લેસમેન્ટથી યુવાનોને નોકરીની શોધમાં ભટકવુ પડતુ નથી. ગુજરાત સરકાર યુવાઓને રોજગારી આપવામાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકારે રોજગાર મેળા યોજીને યુવાઓને ગમતાક્ષેત્રે નોકરી મળી રહે તે માટેનું પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે.

રોજગાર અધિકારી દિનેશ પરમારે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તથા જિલ્લા રોજગાર વિનીમય કચેરી દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારી મળે તે હેતુથી યોજેલા રોજગાર મેળા અને સિધ્ધિઓ વર્ણવી હતી. કાર્યક્રમની આભારવિધિ આઇ.ટી.આઇના આચાર્ય વાળાએ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તથા યુવાનોએ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં અધિકારીઓ, મહાનુભાવો, કોલેજના અધ્યાપકો, નોકરીદાતાઓ તથા યુવાન ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા.