બેદરકાર કોણ સરકાર કે નાગરીક ? ખાસ લેખ !!

“સરકાર દર પાંચ વર્ષે બદલી પણ શકાય પરંતુ નાગરીકમાં નાગરીકત્વ બદલી નથી શકાતું, એકીનજરે આ લેખ વાંચી જુઓ અને પછી ખુદને અરીસામાં જોઈ જુઓ, બેદરકારી સરકારની કે આપણી”

400 CHC અને 1400 PHC જે 14,000 ગામડાઓની જનતાના આરોગ્યની સાર સંભાળ રાખવાનું કામ કરે છે, આ ઉપરાંત એક એક તાલુકા મથકે સામુહીક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા મથકે એક મોટી હોસ્પીટલ હોય છે.

આવી રીતે રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને સંભાળવા જીલ્લા મથકે હેલ્થ ઓફીસર, રાજ્ય મથકે આરોગ્ય કમિશ્નર અને એની ઉપર આરોગ્ય સચિવ અને આરોગ્ય મંત્રાલય હોય છે અને એની ઉપર આવે આપણી સંવેદનશીલ સરકાર.

CHC એટલે સર્કલ હેલ્થ સેન્ટર અને PHC એટલે પ્રાથમિક હેલ્થ સેન્ટર, CHC ૪૦૦ કેન્દ્ર અને PHC ૧૪૦૦ કેન્દ્ર આપણાં રાજ્યમાં કાર્યરત છે, આમાં ફરજ બજાવતા, ડોકટર્સ, નર્સ અને સ્ટાફ પાછળ જનતાના tax ના જંગી નાણાં ખર્ચ થાય છે, આરોગ્ય પાછળ ખર્ચ થતા નાણાંના ત્રણ સ્ત્રોત છે, એક રાજ્ય, બીજું કેન્દ્ર અને ત્રીજું કેટલીક વૈશ્વિક બીમારીઓ માટે WHO એટલે કે વિશ્વ હેલ્થ ઓબ્ઝર્વેશન, આમ આ ત્રણેય સ્રોતોમાંથી ગ્રાન્ટો આવે છે, જેમાં મોટો ભાગ કેન્દ્ર અને એનાથી નાનો ભાગ રાજ્ય અને બાકીનો મામુલી ભાગ વૈશ્વિક હોય છે.

આ બધું એટલે કહું છું કે આ બધું જાણવાનું આપણે ચુકી ગયા છે, અન્યથા રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ, રોપ-વે પર આપણે પાંચ દસ રુપિયા ની ટીકીટ ખર્ચીને પણ જઈએ એ CHC કે PHC પર મફત જવાનું હોય તો પણ આપણે ક્યારેય એ વિચારીને ત્યાં નથી ગયા કે ક્યારેય કોઈ ગંભીર બીમારી આવે તો આપણાં આ સંસાધનો એને સંભાળી શકે તેમ છે કે કેમ ?

અબજો, કરોડો નહીં પરંતુ અર્બો ખર્બો રુપીયા આપણાં આરોગ્ય માટે રાજ્ય, કેન્દ્ર અને વિશ્વ વાપરે છે. વૈશ્વિક ગ્રાન્ટનું એક ઉદાહરણ પણ સમજી લઈએ તો આખા વિશ્વમાં AIDS પેટે દરેક દેશને જનસંખ્યા ના આધારે વિશ્વબેન્ક અર્બો ખર્બો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, એ જ રીતે કેન્દ્રની ગ્રાન્ટ પોલીયો, ટીબી, અને દસેક પ્રકારની રાષ્ટ્રીય બીમારીઓ માટે આવે છે અને રાજ્ય એમાં કેટલીક રકમ ઉમેરીને આગળ કહ્યું એમ રાજ્યના નાગરીકોના આરોગ્યની સારસંભાળ અને તકેદારી રાખે.

જો એક જવાબદાર નાગરીક તરીકે આપણે વર્ષે દાડે એક વખત આવા PHC/CHC ની મુલાકાત લઈને સમીક્ષા કરી હોત તો વિકાસની ઉંચાઈએ આપણે અને આપણું રાજ્ય ક્યાં છે એ આપણે જાણી શક્યા હોત, ઉલ્ટું સરકાર માં બેઠેલા નેતાઓને આપણી સંપૂર્ણ જાણકારી છે એટલે તેઓએ આપણને રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ અને રોપ-વેમાં પીરોવી રાખ્યાં.

એક પંચાયત દીઠ એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ એની જગ્યાએ એક જીલ્લા દીઠ તાલુકાની સંખ્યાથી એકાદ બે વધુ એમ્બ્યુલન્સ રાખીને જે થતી હોય તે સંખ્યા સેટ કરી દેવામાં આવે છે અને આપણને રૂપકડું ૧૦૮ નામ આપીને ખુશ કરાવી દેવામાં આવે, ભલે આ નિષ્ફળતા સરકારની ગણાય પરંતુ એની ખરી નિષ્ફળતા નાગરીકોની ગણાય કારણ કે સરકારની દરેક યોજના તથા કામગીરીની સમીક્ષા કરવાની જવાબદારી સરકારની ઓછી અને નાગરીકોની વધુ છે.

કોરોનાએ આપણને સહુને ચેતવ્યા છે તો માત્ર આરોગ્ય જ નહીં પરંતુ શિક્ષણ, રાશન, પાલિકા, પંચાયત, પાણી, સફાઈ અને ટેક્સ (વેરા) જેવા વિભાગોની સમીક્ષા આપણે કરવી જ રહી.

આવી જ રીતે દર પાંચ વર્ષે સરકારની વ્યવસ્થા, વચનો અને કામગીરીની સમીક્ષા જો નહીં કરવામાં આવે તો આવતા દિવસોમાં લોકો વધુ લાચાર અને નિઃસહાય બની જશે કેમકે આવા બધા જ વિભાગની ગ્રાન્ટમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારનું પ્રમાણ બહુ મોટી માત્રામાં છે અને જવાબદારી (એકાઉન્ટીબીલીટી) નહીવત. કારણ કે એક નાગરીક તરીકે આપણે ભ્રષ્ટાચાર ની જડ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં અધિકારીઓ નિવૃત અથવા બદલી પામી જતાં હોય છે અને કદાચ કોઈ જાગૃત નાગરીક સ્પીડમાં પહોંચી પણ જાય તો એને એકલદોકલ ગણી ને ખુદ સરકાર આંખ આડા કાન અથવા તેવા નાગરીક ને પ્રતાડીત કરી દેતી હોય છે.

આથી અધિકારોની સાથે સાથે ફરજ અને જવાબદારી આપણે પણ નાગરીક તરીકે નિભાવવાની હોય છે અને સહુથી મોટી જવાબદારી કે જે ખર્ચ રહિત છે અને તે છે સમયે સમયે સમીક્ષા.

આશા છે માત્ર આરોગ્યના આ એક ઉદાહરણથી બાકીના હજુ કેટલાય વિભાગો એવા છે જે નાગરીક સમીક્ષાના અભાવે જનતાના ટેક્સના પૈસા ઓહિયા કરી જાય છે અને જ્યારે ખરે ટાણે નાગરીક ને એ પૈસાની જરૂર હોય ત્યારે આ ખાયકીના પૈસા સગેવગે થઈ જતા હોવાથી માણસો અવ્યવસ્થાના શીકાર બનીને જાનથી હાથ ધોઈ દેવા મજબુર અને બાપડા બનીને સરકારી અવ્યવસ્થાની બલી પર હસતા હસતા મજબૂરી સાથે કુરબાન થઈ જતા હોય છે.