કુતિયાણા ચૌટાના ફ્રન્ટલાઇન વર્કર કિરણભાઇ મારુએ લીધી કોરોના વેકસીન

પોરબંદર તા.૨૦, પોરબંદર જિલ્લાનાં કુતિયાણા તાલુકાનાં ચૌટા ગામમાં રહેતા GRD જવાન કિરણભાઇ મારુંને કુતિયાણા આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાની વેકસીન આપવામાં આવી છે. આ સંદર્ભે ફ્રન્ટલાઇન વર્કર કિરણભાઇ મારું લોકોને અપીલ કરે છે કે, સરકારશ્રીની ગાઇડ લાઇનનું પાલન કરીએ અને કોરોનાને હરાવીએ.

કોરોનાનો પ્રથમ ડોઝ લીધા બાદ પણ માસ્ક પહેરવુ અને સમાજિક અંતર જાળવવું જરૂરી છે. તે સંદર્ભે કોરોના વોરીયર્સે કહ્યુ કે, વેકસીન લીધા બાદ પણ હું સરકારશ્રીની ગાઇડ લાઇનનું પાલન કરુ છુ.

પોરબંદરના માવજીભાઇ રોટીયાએ લીધી કોરોનાની રસી

કોરોના મહામારીથી બચવા રસી લઇએ અને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીએ

પોરબંદર તા.૨૦, સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. ત્યારે નિષ્ણાંતો દ્રારા તૈયાર કરાયેલ કોરોનાની રસી લેવી અતિ આવશ્યક છે. સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ લોકોને કોરોનાની રસી આપવામા આવી રહી છે. પોરબંદર રહેતા માવજીભાઇ રોટીયાએ લોકોને અપીલ કરી કે, આ મહામારીથી બચવાનો એક ઇલાજ છે કે, કોરોનાની રસી લઇએ અને સરકારશ્રીની ગાઇડ લાઇનનુ યોગ્ય રીતે પાલન કરીએ. મે કોરોનાની રસી લીધી છે, આપ સૈા પણ રસી લો અને કોરોનાને હરાવો.

પોરબંદર જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પિટલ ખાતે કોરોનાની રસીનો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે. જેમા ૬૦ વર્ષથી વધુ ઉંમરના તથા ૪૫ થી ૫૯ વર્ષ સુધીના ગંભીર બિમારી ધરાવતા લોકોને  હાલના તબક્કે રસી આપવામાં આવી રહી છે.

દેશમાંથી ટીબીને નાબુદ કરવા માટેનું અભિયાન

  • પોરબંદર જિલ્લામાં તા.૨૨ માર્ચથી તા.૨૬ માર્ચ સુધી આશાવર્કર બહેનો ઘરે ઘરે જઇને ટીબી રોગનો સર્વે હાથ ધરશે,
  • સર્વે માટે ઘરે આવતા આશાવર્કર બહેનોને સહકાર આપવા કરાઇ લોકોને અપીલ

પોરબંદર તા.૨૦, ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટીબીને નાબુદ કરવા માટેનું અભિયાન સરકાર દ્રારા શરૂ કરવામા આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લો પણ આ અભિયાનમા જોડાયો છે.  ટીબીના દર્દીઓ શોધી સારવાર મળી રહે તે માટે આશાવર્કર બહેનો ઘરે ઘરે જઇને ટીબી રોગનો સર્વે હાથ ધરવામાં આવશે.

તા.૨૨ માર્ચ થી ૨૬ માર્ચ સુધી પોરબંદર જિલ્લામાં સર્વેની  સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડીયા કે વધુ સમયથી ગળફા સાંથે ખાંસી હોવી, તાવ આવવો, ઘણી વખત ગળફામાં લોહી આવવુ, વજન ઘટવુ, ભુખ ન લાગવી વગેરે વિશે પુછપરછ કરવામાં આવશે. જો કોઇ વ્યક્તિને ટીબી રોગના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાને મોકલવામાં આવશે. અને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. અને સરકાર દ્રારા નિક્ષય પોક્ષણ સહાય યોજના અંતર્ગત દર મહિને રૂા. ૫૦૦/- આપવામાં આવશે.

આ સર્વે દરમિયાન આપના આંગણે આવતા આરોગ્ય કર્મચારી સહકાર આપવા પોરબંદર જિલ્લાની જનતાને જિલ્લા ક્ષય અધિકારી ડો. સીમા પોપટીયા એ અપીલ કરી છે.