શ્વાનની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સત્સંગનો કાર્યક્રમ યોજી જીવદયા પ્રેમીઓને સન્માન પત્ર

પોરબંદરમાં દિલીપભાઈ ધામેચા પરિવાર દ્વારા સભ્યોની જેમ જ લાડકવાયા શ્વાન ગટુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરે સત્સંગના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો પણ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના માધ્યમથી એકત્રિત કરવામાં આવ્યો હતો. અને શ્વાન સહિત પ્રાણીઓ માટે 24કલાક સક્રિય રહીને નિષ્ઠાપૂર્વક સેવા કરનાર જીવદયા પ્રેમીઓને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંધ્યા સમયે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે દિલીપભાઈ ધામેચા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મંદિરના પૂજારી નીલેશભાઈ વ્યાસ દ્વારા કરાયું હોવાનું જણાવ્યું હતું.