અઘોરી જેવી અવસ્થામાં જીવતા ભાઈ-બહેન સ્ક્રીઝોફેનિયાના દર્દી

  • સમાજસુરક્ષા વિભાગે હોસ્પિટલે લઈ જઈ શરૂ કર્યું કાઉન્સેલીંગ
  • કિશાનપરા ચોકમાંથી અસરગ્રસ્ત પરિવારને કાલાવડ રોડ પર તેના ફઈબાના ઘેર ખસેડાય  ૧૦ વર્ષથી બંધ મકાનમાં હાથ ધરાઈ સાફ – સફાઈ
રાજકોટ, તા. 28 ડિસેમ્બર 2020, સોમવાર

અહીના કિશાનપરા ચોક જેવા પોશ વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી બંધ મકાનની ઓરડીમાં પુરાયેલા ૩૫થી ૪૦ વર્ષથી વયના ઉચ્ચ અભ્યાસ પાસ કરી ડીગ્રી ધારણ કરનારા બે ભાઈ અને એક બહેનની અઘોરી જેવી અવદશાનો કિસ્સો બહાર આવ્યા બાદ આજે આ પરિવારના સભ્યોને માનસિક સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા પરિવારના સભ્યો માનસિક રોગી હોવાનું જાણવા મળ્યું હતું. સમાજ સુરક્ષા વિભાગની આજની કામગીરી દરમિયાન સ્ક્રીઝોફેનીયા નામના રોગથી આ ત્રઁણે’ય સભ્યોનું કાઉન્સેલીંગ અને સારવાર શરૂ કરવામાં આવી હતી.

અહીના કિશાનપરા ચોક વિસ્તારમાં નિવૃત્ત કલાસવન ઓફિસર એવા નવિનભાઈ મહેતાના ત્રણ સંતાનો છેલ્લા ૧૦ વર્ષથી ઘરના બંધ મકાનમાં પુરાઈ રહીને અઘોરી જેવું જીવન જીવતા હોવાની વિગતો બહાર આવ્યા બાદ ગઈકાલે સાથી સેવા ગુ્રપના સભ્યોએ તેમના ઘરે દોડી જઈ ઘરનો દરવાજો તોડી ત્રણે – ત્રણ સભ્યોને ઘરની બહાર કાઢયા હતાં. નવડાવી ધોવડાવી નવા કપડા પહેરાવ્યા હતાં.૧૦ વર્ષથી એક જ ઓરડીમાં પુરાયેલા રહ્યા હોવાને લીધે ભાઈઓના બાલ દાઢી વધી જતાં વાળ કપાવી સ્વચ્છ કરવામાં આવ્યા હતાં.

દરમિયાન આજે આ પ્રકરણની જાણ થતા સમાજસુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી સહિતનો સ્ટાફ સબંધિત પરિવારના ઘરે પહોંચ્યો હતો. જયાં તેઓની પ્રાથમિક વિગતોની ચકાસણી કરી હતી. જેમાં અંબરીશભાઈનામનાં મોટા ભાઈ એલએલબી ટીસીએસની ડીગ્રી ધરાવતો હોવાનું અને અગાઉ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેકટીસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે તેની બહેન મેઘના સાયકોલોજી વિષયમાં એમએ સુધી ભણેલી હોવાનું જાણવા મળ્યું હતું.

જયારે ત્રીજો ભાઈ ભાવેશ એમએ ઈકોનોમિકસની ડીગ્રી ધરાવતો હોવાની વિગતો મળી હતી. સમાજ સુરક્ષા વિભાગે આજે અસરગ્રસ્ત પરિવારના ભાવેશની સ્થિતિ જોતા તેના પગ વળી શકતા નહી હોવાથી તેને સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ પરિવારના વડીલ એળા પિતા નવનિભાઈ આજે તેમના ત્રણે – ત્રણ સંતાનોને કાલાવડ રોડ ઉપર આવેલા તેમની બહેનના મકાને લઈ ગયા હતાં. જયારે સાથી સેવા ગુ્રપ દ્વારા આજે કિશાનપરા ચોક વિસ્તારમાં આવેલું મકાન ૧૦ વર્ષથી બંધ હોવાથી અંદરથી ગંધાતુ હતુ તેથી તેની સફાઈ કામગીરી હાથ ધરી હતી.

  • રોગનો હૂમલો આવે એટલે દર્દીની હાલત બગડે
  • સ્ક્રીઝોફેનિયાનો દર્દી ગમે ત્યારે બની જાય છે હિંસક
  • ભાવાત્મક આવેગ પર જયારે નિયંત્રણ ન જળવાય ત્યારે દર્દી સ્ક્રીઝોફેનિયાનો ભોગ બને 

ભારતમાં સ્ક્રીઝોફેનિયાની બિમારીનું પ્રમાણ અડધો ટકા જોવા મળે છે. સામાન્ય રીતે ભાવાત્મક આવેગોને નિયંત્રણ કરવામાં વ્યક્તિ જયારે નિષ્ફળ જાય ત્યારે તે સ્ક્રીઝોફેનિયાની બિમારીનો ભોગ બને છે.

રાજકોટની સીવીલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગના તબીબો અને યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનના અધ્યાપકોએ આજરોજ સ્ક્રીઝોફેનીયાની બિમારી વિશે રસપ૩દ વિગતો આપી હતી. તજજ્ઞાોએ જણાવ્યું હતું કે, લીથીયમ નામનું તત્વ શરીરમાં વધે ત્યારે વ્યક્તિ એ ઉન્માહનું પ્રમાણ વધે છે જેના કારણે તે હિંસક બને છે. સ્ક્રીઝોફેનીયાના દર્દી તરીકે તેને ઓળખવામાં આવે છે. આ રોગના દર્દીને લાગે છે કે મારૂ કોઈ સાંભળતુ નથી. જયારે આ બિમારીના એટેક આવે ત્યારે તેનું વર્તન બદલાઈ જાય છે. રાજકોટના કિશાનપરા ચોકના બનાવમાં માતાનું આકસ્મિક મૃત્યુ અપવા તો મિલ્કતો અન્યના નામે કરી દેવાનો પ્રશ્ન જવાબદાર હોઈ શકે છે.

જયારે વ્યક્તની યોગ્ય સારવાર થતી નથી ત્યારે તે બીજી વ્યક્તિને મળવાનું ટાળે છે. ઘરમાં પુરાઈ રહે છે. પરિવારજનો આ સ્થિતિને અંધશ્રધ્ધામાં ખપાવીને દોરા-ધાગા કરતા રહે છે. પરંતુ તેનાથી કોઈ ફેર પડતો નથી. પરિસ્થિતિ બગડતી જ જાય છે. અલબત તેની સારવાર માટે દવા ઈંજેકશન અને ઈલેકટ્રીક શોર્ટની સારવાર ઉપયોગી થાય છે. જયારે પરિવારમાં નોર્મલ વ્યક્તિનું કાઉન્સેલીંગ કરીને તેને અંધશ્રધ્ધાથી દૂર રહેવા માટે સમજાવવામાં આવે છે જે દર્દી માટે ઉપયોગી પુરવાર થાય છે.