પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા બાયોડિઝલ પંપો પર તપાસ કરી આધાર પુરાવા વગરના પંપો સીલ કર્યા

પોરબદર તા.૩, કુતિયાણામાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર કુતિયાણા દ્વારા ૨ પંપની તપાસ કરી હતી. આ પંપોના સંચાલકો દ્વારા આધાર પુરાવા રજુ ન કરાતાં તપાસ અધિકારીએ આશરે ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બંને પંપને સીલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત માધવપુર ખાતે પણ મામલતદાર પોરબંદર દ્વારા બાયોડીઝલ પંપ પર તપાસણી કરી હતી. પંપના સંચાલક દ્વારા આધાર પુરાવા રજુ ન કરાતાં સેમ્પલ લઈને, મુદામાલ સિઝ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાતંત્રની અચાનક તપાસથી આધાર પુરાવા વગર બાયોડીઝલ પંપ ચલાવતા સંચાલકોમા ફફડાટ ફેલાયો છે. ત્યારબાદ પુરવઠા ટીમ દ્વારા જિલ્લામા અલગ અલગ જગ્યાએ કાર્યરત બાયોડિઝલ પંપો પર તપાસ કરીને આધાર પુરાવા વગરના પંપોને બંધ કરાવ્યા હતા. અને સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. ભારત સરકારની બાયોડિઝલ નીતિનો કોઈ પણ ભંગ કરશે તો તેમની સામે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું.